Friday, January 21, 2011

ડૉ. જયરાજ દેસાઈની પાંચ રચનાઓ

                  પ્રણયગીત
ક્ષણોની સંવાદિતા ત્યાગીને સદીઓના લીધા કાં અબોલા ?
સખી તમે હળવેથી ઝંકારો થોડા થોડા !
ભીની છમ્મ લાગણીઓની મોસમ છે ને કેમ કરી રહેશો તમે કોરાં ?
સખી તમે હળવેથી ઝંકારો થોડા થોડા !
કમખાની તૂટતી કસોના કારણમાં હણહણતાં કામનાના ઘોડા,
સખી તમે હળવેથી ઝંકારો થોડા થોડા !
ભવોભવની ભાવ ના ભાતાં બાંધીને હવે ખાશો ના અધવચ્ચે પોરાં,
સખી તમે હળવેથી ઝંકારો થોડા થોડા !
શરમના શેરડે સજાવેલી આંખોથી અળગા કરો મૂંઝવણના મ્હોરાં,
સખી તમે હળવેથી ઝંકારો થોડા થોડા !
આયખાની અધૂરપ ઉરે ઝાલીને ઊર્મિના આંગણે પડાય ના મોડા,
સખી તમે હળવેથી ઝંકારો થોડા થોડા !
મનના મંદિરિયે માંડેલી મૂરતના શોભે ના સામૈયા આમ મોળા,
સખી તમે હળવેથી ઝંકારો થોડા થોડા !
          અફવા
વાત દરિયાની કરી છલકાય છે,
નદી મનોમન તો સદા શરમાય છે.
મ્હોરવા લાગી છે આરત ભીતરે,
ઉર અમારું ત્યારથી તરડાય છે.
શું ભલા નાથી નકારો છો આપ,
ઘોષણા હાની ચોમેર ગજવાય છે.
ચોતરફ છે જાદુઈ દર્પણ અહીં,
બિંબથી સરકીને ક્યાં છટકાય છે.
રાજનહીં આવી શકે તો શું થશે?
એક અફવા આજથી ફેલાય છે.

તને ખબર નહી હોય
પણ તું સુઈ જાય છે ત્યારે
હું ચુપકેથી તારી પાંપણો નીચે
સરકી જાઉં છું….!
પછી આંખોમાંથી હળવેકથી
તારાં  હૃદયમાં પ્રવેશી જાઉં છું….!
બહારની કોલાહલ ભરેલી
મુક્ત દુનિયા કરતાં
તારાં હૃદયની
બંધ દિવાલોમાં જીવવું
મને વધારે પસંદ છે….!?

          ચમેલી
પરબિડિયે લાગણી બીડી હતી,
પત્ર સાથે પાંખડી પીળી હતી.
આંખના અનરાધાર ખૂટી પડ્યા,
અંતરે તો હેતની હેલી હતી.
દેહનું ભુવન છોને ખળભળે,
શેષને શીશ ક્યાં ખીલી હતી ?
જિંદગીના દાખલે ના શેષ વધી,
રકમ જ જ્યાં ખોટી મેલી હતી !
રાજના જનાજે સૌ મ્હેંકી ઊઠ્યા,
છાતીએ ચોપડેલ ચમેલી હતી.

વહેલી સવારે
મારા દરવાજે પડ્યા ટકોરા
લાગ્યું કે તું જ હોઈશ !
ઝટ દઈને દોડતાંક ને
દરવાજો ખોલ્યોતો
કોઈ નહોતું….. કોઈ જ નહીં !!
પણ તારી સુગંધનો દરિયો
ક્ષણવારમાં ઘૂઘવતાં પૂરરૂપે
મારાં સમગ્ર અસ્તિત્વનાં
જરીપુરાણા માળખાંને
હચમચાવી ગયો !!!
આંખો ખૂલી ને જોયું તો..
મારી એકલતાનો તડકો
માથોડા જેટલો ઊંચે
ચઢી ગયોતો !
સપનું હશે કદાચ…!
કદાચ સપનું જ હતું… !?!

No comments:

Post a Comment